છેલ્લા વચનો વિષે – (૪૦) – (૯૧૩ – ૯૪૩)

                     

છેલ્લા વચનો વિષે – (૪૦) (૯૧૩ – ૯૪૩)

 

(૯૧૩) કબીર! જુઠ નહી બોલીયે, જબ લગ પાર બસાય,

 ના જાને કયા હોયગા,તિલક ચૌથે ભાય.આ

કબીરજી કહે! જુઠું બોલશો નહી. જ્યાં સુધી આ ભવસાગરની પાર થવાય નહીં, ત્યાં સુધી સત્યના રસ્તે ચાલી સાચું જ બોલજો. કોને ખબર છે કે જયારે મૃત્યુની ચોથી સ્થિતિ આવશે, ત્યારે બીજા અવતારે તું શું નો શું થઈ જશે.

(૯૧૪) કબીર! બુંદ સમાની સમુદ્રમેં, જાનત હય સબ કોય, 

 સમુદ્ર સમાના બુંદમેં, બૂઝે બીરલા કોય.

કબીરજી કહે! એ તો સૌ કોઈ જાણે છે કે સમુદ્રમાં પાણીનું ટીપું સમાઈ જાય છે. પણ પાણીના ટીપામાં સમુદ્ર સમાય જાય તે તો કોઈ વિરલા જ સમજી શકે છે. એટલે કે જે જ્ઞાની સંત પુરૂષો જ જાણે છે કે આ સમગ્ર વિશ્વ તે પરમાત્મામાં જ વસેલું છે, પણ અજ્ઞાનીઓને તેની સમજ પડતી નથી. કારણ પાણીના બુંદની જેમ ઝીણો હોય, તેને સમજવો તેવાઓને માટે મુશ્કેલ લાગે છે.

(૯૧૫) ઉપરકી દોઉ ગઈ, હીયકી ગઈ હીરાય,

     કહે કબીર ચારો ગઈ, તાસોં કહા બસાય?

કબીરજી કહે! આ ઉપર માથામાં રહેલી બન્ને આંખો જતી રહે તેની તો કોઈક વ્યવસ્થા થઈ શકે. પણ જ્યારે જેની હૈયાની સમજ આંખો પણ જતી રહે, તેને ક્યાં અને કઈ જગ્યાએ રાખી શકાય, એટલે કે જે પોતાની બુદ્ધિની પોટલીનો ઉપયોગ કરી શકતો નથી, તેને કેવી રીતે સમજાવી શકાય?

(૯૧૬) જો તો કું કાંટા બુવે, તો કો તું બો ફુલ,

  તો કુ ફુલપે ફુલ હય, વાં કો કાંટા સુલ.

જો કોઈ તને કાંટો ભોંકે એટલે કે તને દુઃખી કરે, તેને તું ફુલ જ આપજે. એટલે કે તેને સુખ લાગે તેમ જ વર્તજે. જેને દુઃખ આપવાની આદત છે, તેવાઓને કાંટાની શૂળ પર સુવું પડશે. એટલે કે ભવોભવના દુઃખો જ મેળવવાના છે. જ્યારે તું તો સુખ સ્વરૂપ ફુલ હોય, તને સર્વ સમય સુખ જ સુખ થશે.

(૯૧૭) કબીર! સબ ઘટ મેરા સાંઈયાં, ખાલી ઘાટ નહીં કોય,

બલિહારી ઉસ ઘાટકી, જા ઘટ પરગટ હોય.

કબીરજી કહે! હરેક શરીરોમાં મારો પરમાત્મા વસેલો છે. કોઈ એવું શરીર કે સ્થળ નથી, કે જે તેના વિના ખાલી હોય. પરંતુ બલિહારી તો તેની જ છે કે જેના શરીરમાં તે પ્રગટ થયેલો હોય. અર્થાત્ જેણે તેને પોતાનામાં જ ઓળખી કાઢી તેને જ્ઞાન થકી અનુભવ્યો હોય.

(૯૧૮) કબીર કા ઘર બાજારમેં, ગલ કાટ્યોંકે પાસ,

   કરેંગે સો પાએંગે, તુમ ક્યોં ભયે ઉદાસ.

કબીરજીનું ઘર બજારમાં જાનવરોનાં ગળાં કાપવા વાળા કસાઈની બાજુમાં છે. તેથી કબીરજી પોતાને કહે છે કે એ લોકો જેવું કરશે તેવું ભોગવશે, તું શા માટે ઉદાસ રહે છે?

(૯૧૯) કબીરા સોયા ક્યા કરે, બૈઠે રહા ઓર જાગ,

 જીનકે સંગમેં બિછરીયો, વાહીકે સંગ લાગ.

કબીરજી કહે! હે લોકો તમે આ સંસારની મોહ માયામાં સુઈને એટલે કે તેમાં ભરમાય શું કરી રહ્યા છો? તેથી તેમાં પડી ન રહેતાં ચેતીને જાગી જાવ. એટલે કે કોઈ સંત પુરૂષનો સહારો લઈ જાણી લ્યો કે જેનાથી વિખુટા પડ્યા છો, તેની સાથે એક થઈ જવાય.

(૯૨૦) જ્યું તિલ માંહી તેલ હૈ, જ્યું ચકમકમેં આગ,

 તેરા સાંઈ તુજમેં, જાગ શકે તો જાગ.

જેમ તલની અંદર તેલ રહેલું છે કે જે જણાતું નથી. અને ચકમકના પથ્થરમાં આગ એટલે અગ્નિ રહેલો છે, તે પણ જણાતો નથી. તેમ જ તારો સાંઈ અર્થાત્ પરમાત્મા તારી અંદર રહેલો છે, તેને વેળાસર જાગીને જ્ઞાન થકી મેળવી લે.

(૯૨૧) માલા ફેરત જુગ ગયા, મીટા ન મન કા ફેર,

     કર કા મનકા છોડ દે, મન કા મનકા ફેર.

માળા ફેરવી જપ કરતાં કરતાં તારૂં આખું જીવન વહી ગયું. પરંતુ તારા મનમાં જરા પણ ફરક પડ્યો નથી. અર્થાત્ હજુ પણ મોહમાયામાં સપડાયેલો રહ્યો છે. તેથી કહું છું કે હાથમાંની માળા પડતી મૂકી, કોઈ સંત સદગુરૂ શોધી તેમની પાસે તારા મનને કેવી રીતે શુદ્ધ કરવું તે જાણી મનનો મણકો ફેરવ, અર્થાત્ મન થકી તે જ્ઞાન પ્રાપ્ત કરી લે.

(૯૨૨) માલા તો કરમેં ફિરે, જીભ ફિરે મુખમાંહી,

મનવા તો ચૌદીશ ફિરે, યે તો સુમિરન નાહી.

હાથમાં માળાના મણકા ફરતા રહે, મુખમાં જીભ હરિનું નામ બોલતી રહે, પણ તારૂં મન તો ચારે દિશામાં ભટકતું હોય, તો હે ભાઈ, એ કંઈ તું પરમાત્માનું સ્મરણ કરતો નથી. ઉલટાની તેની તું મશ્કરી કરે છે.

(૯૨૩) રામ બુલાવા ભેજીયે, જીયા કબીરા રોય,

 જો સુખ સાધુ સંગમેં, સો વૈકુંઠ ન હોય.

ઈશ્વર મને બોલાવે કે તું સ્વર્ગમાં આવી જા, ત્યારે મારૂં કબીરનું હ્રદય રડી પડે છે, કારણ જે સુખ મને આ સાધુસંતના સંગમાં મળતું છે, તે સુખ હે પ્રભુ, ત્યાં તારા વૈકુંઠમાં પણ નથી.

(૯૨૪) પારસમેં ઓર સંતમેં, બડો અંતર જાન,

    વો લોહ કંચન કરે, વે કરદે આપ સમાન.

પારસમણિ અને સંત પુરૂષમાં ઘણો જ ફરક છે. તે પારસમણિને લોકંડની નજીક લાવવાથી તેને સોનું બનાવી દે છે, પણ તે લોખંડને પોતાના જેવો પારસમણિ બનાવતો નથી. પણ સંત પુરૂષ તેના સંગમાં રહેતા તેના શિષ્યને પોતા સમાન બનાવી દે છે.

(૯૨૫) સુમિરન સુરત લગાઈ કે, મુખસે કછુ ન બોલ,

     બાહર કે પટ બંધ કર, અંતર કે પટ ખોલ.

મુખથી કંઈ પણ બોલ્યા વગર પરમાત્માના સ્મરણમાં તારા ચિત્તને એકાગ્ર કરી દેજે. એમ એકાગ્ર થયેલા ચિત્તને લીધે તારી બહાર દોડતી વૃત્તિઓ શાંત થઈ જવાથી, અંતરનો પડદો ખુલવાને લીધે ત્યાં વિરાજેલો જે તારો જ છે, તે પરમાત્મા જણાઈ જશે.

(૯૨૬) સાંસ સાંસ પર નામ લે, બિલખા સાંસ ન ખોય

      ના જાને યહ સાંસ કા, આવન હોયે ના હોય.

તારા શ્વાસે શ્વાસે પરમાત્માનું સ્મરણ કરતો રહેજે. મફતમાં તારા શ્વાસોને ખોઈ દઈશ નહી. ખબર નથી કે આ ચાલતો શ્વાસ કઈ ઘડીયે બંધ પડી જાય. અને પાછો ચાલુ નહી થાય.

(૯૨૭) જાગો લોગો મત સોવો, ના કરો નિંદસે પ્યાર,

 જૈસે સુપના રૈન કા, ઐસા યહ સંસાર.

હે લોકો! મોહ માયાની નિંદ્રામાં પ્રેમથી સુઈ ન રહેતાં, હવે ચેતી જઈ જાગી જાવ. જાગ્રતમાં ભોગવાતો સંસાર તો આવેલું સ્વપ્ન જેવો છે.

(૯૨૮) કહે કબીર પુકાર કે, દો બાતેં લીખ દે,

  કર સાહેબ કી બંદગી, ભુખોં કો કછુ દે.

કબીરજી પોકારીને કહે છે, કે તમે બે વાત મનમાંથી કદી કાઢશો નહીં. તે એ કે હમેશાં પરમાત્માનું ધ્યાન ધરજો અને ભુખ્યાંઓને થાય તેટલી સહાય કરશો.

(૯૨૯) કબીર વા દિન યાદ કર, પગ ઉપર તલ શીશ,

 મીરત લોગમેં આય કર, બિસર ગયા જગદીશ.

કબીરજી કહે! તું તારી માના પેટમાં ઉંચે પગે ને નીચે માથે નવ મહીના લટકી તારી માને ભારે પડ્યો હતો, તે યાદ રાખજે. પણ તું તો આ મૃત્યુ લોકમાં આવી, તારા પોતાનો જ જે પરમાત્મા છે, તેને જ ભૂલી ગયો.

(૯૩૦) ચેત સવેરે બાવરે, ફિર પાછો પછતાય,

   તુજકો જાના દૂર હય, કહે કબીર જગાય.

કબીરજી તને જગાડીને કહે છે કે હે બાવરા, તું જેમ બને તેમ જલ્દી વેળાસર ચેતી, પરમાત્માના રસ્તે ચાલવા માંડ. કારણ એ રસ્તો ઘણો દૂર લાંબો છે. નહીં તો તારે છેવટે પસ્તાવું પડશે.

(૯૩૧) સાંઈ ઈતના દીજીયે, જામેં કુટુંબ સમાય,

 મેં ભી ભૂખા ના રહું, સાથ ન ભૂખા જાય.

હે પરમાત્મા! તારી પાસે આટલું માગું છું, કે જે આ સંસારના કુટુંબમાં હું સલવાયેલો છું. તેમાં હું ભૂખો નહીં રહું અને આ જે મારી સાથેનો સાથ છે, તે પણ ભૂખ્યા ન રહે.

(૯૩૨) કબીરા ખડા બજારમેં, માંગે સબકી ખેર,

  ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે વેર.

કબીરજી આ સંસારના બજારમાં ઉભો રહી પરમાત્મા પાસે એ જ માંગે છે, કે તે બધાંને સદબુદ્ધિ આપે કે જેથી સર્વ સુખી થાય. કારણ મને તો કોઈ એક સાથે નથી, દોસ્તીનો ભાવ, કે નથી કોઈ સાથે વેરભાવ.

(૯૩૩) કથા કિરતન કલી મીખે, ભવસાગર કી નાવ,

કહે કબીર ભવ તરન કો, નાહી ઓર ઉપાવ.

કબીરજી કહે છે, કે આ કળીયુગના સમયે લોકો એટલા બધા સંસારના વિષયોમાં લુબ્ધ થયેલા છે, કે તેઓને આ ભવસાગર પાર કરવા માટે, જ્ઞાનની વાતો નહી સમજાતા,  ફક્ત કથા કિર્તન શિવાય કોઈ ઉપાય રહ્યો નથી.

(૯૩૪) કહના થા સો કહ દીયા, અબ કછુ કહા ન જાય,

  એક રહા દૂજા ગયા, દરીયા લહેર સમાય.

જે કહેવાનું હતું તે બધું જ મેં કહી દીધું, હવે કંઈ પણ કહી શકાય એમ નથી. હવે તો જે પરમાત્મા સાથે જુદાઈ હતી તે ન રહેતાં હું તેની સાથે એક થઈ ગયો છું. જેમ દરીયાનાં મોજાં તે દરીયામાં જ સમાય જાય, તેમ હું પરમાત્મામાં સમાય ગયો છું.

(૯૩૫) હમ કછુ પક્ષપાત નહી રાખી, સબ જીવનકે હિત કી ભાખી.

        મેં સર્વ લોકોના જીવનનું ભલું થાય તે ધ્યાનમાં રાખી કોઈ પણ પક્ષપાત રાખ્યા વિના જે કહેવાનું હતું તે કહી દીધું છે.

(૯૩૬) આજ હમારા કુચ હય, જમડા મેરા ગુલામ,

   હુવા નગારા સંત કા, બૈકુંઠ કરૂં મુકામ.

આજે મારા આ શરીરનો જવાનો સમય થઈ ગયો છે. જમડા તો મારા ગુલામ છે, અને સંત લોકોના નગારા વાગી રહ્યા છે. મારો મુકામ હવે તે પરમાત્મા સાથે વૈકુંઠમાં છે.

(૯૩૭) ભજન ભરોસે આપને, મગહર તજ્યો શરીર,

અવિનાશી કી ગોદમેં, બિસસૈં દાસ કબીર.

પરમાત્મા સાથે એક થઈ જવાના ભરોસે તમે કબીર દાસે મગહર ગામે શરીર તજ્યું છે. અને અવિનાશીની ગોદમાં તમે કબીરજીએ વિશ્રામ કર્યો છે.

(૯૩૮) હમ ન મરી હૈ, મરી હૈ સંસારા,

      હમકો મીલા, જીયાવન હારા.

હું મર્યો નથી, મારા માટે તો આ સંસાર મરી પરવાર્યો છે. હું તો તેની સાથે મળી જઈ સદાના માટે જીવતો થઈ ગયો છું.

 

(૯૩૯) અબ ન મરો, મરને મન માના,

      તેઈ મુએ જીન રામ ન જાના.

તમે તમારા મનથી માની લીધું છે કે મરવું પડશે, પણ હવે આ મારા બોધને સમજી જઈ મફતના મરો નહી. એ તો તેઓ જ મરતા છે કે જેણે રામ પરમાત્માને જાણ્યો નથી.

(૯૪૦) સાકુંથ મરેં સંતજન જીવે,

ભરી ભરી રામ રસાયન પીવૈ.

સંસારના વિષય વાસનાના લોભી લાલચુ કુંઠિત બુદ્ધિવાળાઓ હમેશ મરે છે. જે જ્ઞાની સંત મહાત્મા છે, તેઓ કદી પણ મરતા નથી, સદાને માટે જીવંત છે. કારણ તેઓએ રામ પરમાત્માના જ્ઞાનનું રસાયણ ધરાઈ ને પીધું છે.

(૯૪૧) હરિ મર હૈ, તો હમહુ મરી હૈ,

હરિ ન મરી હૈ, હમ કાહેકો મરી હૈ.

હરિ પરમાત્મા જો મરતો હોય તો હું પણ મરૂં. પણ પરમાત્મા જે અવિચળ અજર અમર છે, અને હું તેનું જ સ્વરૂપ હોઉં હું શા માટે મરૂં?

(૯૪૨) કહે કબીર મન મનાહી મીલાવા,

અમર ભયા સુખ સાગર પાયા.

કબીરજી કહે છે કે જેણે મનને અર્થાત્ પોતાના જીવને પરમાત્મા સાથે એક કરી દીધો છે. તે અમર થઈ જવાથી તેને કાયમને માટે સુખનો સાગર મળી ગયો.

 

 

 

       (૯૪૩) દુલ્હની ગાવો મંગલ ચાર,

હમ ઘર આયે રાજા રામ ભરથાર… દુલ્હની…

       તન રત કરહુ, મન રત કરહુ,

પાંચો તત્વ બરાતી,

       રામ દેવ મોરે પાહુન આયે,

મેં જોબન મદમાતી… દુલ્હની…

       શરીર સરોવર બેદી કરહું,

બ્રહ્માવ વેદ ઉચારા,

       રામ દેવ સંગ ભાવર લેહોં,

ધની ધની ભાગ હમારા… દુલ્હની…

       સુર તેતીમોં, કૌતુક આયે,

મુનિજન સહસ અઠાસી,

       કહે કબીર હમ બ્યાહ ચલે હૈ,

પુરૂષ એક અવિનાશી… દુલ્હની…

                     

Leave a comment